logo

Thursday 23rd of May 2013
Home Centres India Newsletter 17th to 31st October 2011
Newsletter 17th to 31st October 2011 Print E-mail
Wednesday, 02 November 2011 21:35

                                               સ્વામિશ્રીજી                                                                                                                                                                    

જય ગુરૂહરિ પપ્પાજી

પરાભક્તિ પર્વની જય જય જય

ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો ! પરાભક્તિ પર્વની દિપોત્સવીના ભાવભર્યા જય સ્વામિનારાયણ !

આજે અહીં આપણે ઑક્ટોબર મહિનામાં બીજા પખવાડિયા દરમ્યાન જ્યોતમાં ચાલી રહેલી પરાભક્તિ પર્વની તૈયારી તથા દિવાળીના તહેવારોની ઉજવણીનું સ્મૃતિ દર્શન માણીશું.

પરાભક્તિ પર્વ આવતો હોવાથી દિવાળીના તહેવારોની ઉજવણી આ વર્ષે સ્થાનિક રાખી હતી. જ્યોત શાખાઓમાં અન્નકૂટ ઉત્સવ થયા ! સ્થાનિક હોવા છતાંય વિદ્યાનગર જ્યોતમાં દર વર્ષની જેમ જ સેવાઓની સાથે સાથે દિવાળી તહેવારોની ઉજવણી ખૂબ ભવ્ય રીતે દિવ્યતાથી થઈ હતી.

(૧) તા.૨૨/૧૦/૧૧ શનિવાર

બહેનોની મંગલ સભા વખતે ચોપડા પૂજનના પાનાઓનું પૂજન સદ્દ્ગુરૂ સ્વરૂપોના હસ્તે થયું. દિવ્ય બહેનોએ એક એક પાનાનું પૂજન જપયજ્ઞની સાથે સાથે કર્યું હતું.

(૨) તા.૨૪/૧૦/૧૧ રવિવાર, ધનતેરસ

આજે સાંજે ૪.૩૦ થી ૬.૦૦ જ્યોત પપ્પાજી હૉલમાં બહેનો-ભાઈઓની સભામાં ઠાકોરજી સમક્ષ સમૂહ મહાપૂજા થઈ ! પૂ.તરૂબેન, પૂ.દેવ્યાનીબેન અને ઑફિસના બહેનોએ મહાપૂજા કરી. ધન ધોયું. તે શું ? તો આ ધન નિર્ગુણ અને નિષ્કામ બને, ભગવાન અને ભક્તો અર્થે વપરાય તેવી ગુરૂહરિ પપ્પાજીની વ્યાખ્યા ધનપૂજાની ખૂબ ઉચ્ચકોટિની છે. મહાપૂજા બાદ પપ્પાજીના ધ્વનિમુદ્રિત આશીર્વાદ લીધા. તેમાં પપ્પાજીએ વાત કરી અને સાથે સંકલ્પ કરાવ્યો કે,

હે મહારાજ ! હે સ્વામી ! હે ગુણાતીત સ્વરૂપો !

અમો આપના આશ્રયે આપના સાંનિધ્યે ધનપૂજા કરી. અમે જે જે ધન કમાઈએ તે નિર્ગુણ બને. તમારી પ્રસન્નતાર્થે, તમારા કાયદે વાપરીએ એવો બુધ્ધિયોગ આપવા પ્રાર્થના છે. ધન બંધનકર્તા ન નિવડે. મનમુખી સંકલ્પ એ ધન છે. આમ પપ્પાજીના સિધ્ધાંત પ્રમાણે મહાપૂજામાં પ્રાર્થના થઈ. અને ધૂન્ય પણ પપ્પાજીએ કરાવી. પપ્પાજીની વાત પર  અને આજના પ્રસંગ અનુરૂપ પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.દેવીબેન, પ.પૂ.તરૂબેન, વગેરેએ વાત કરી અને આશીર્વાદ વરસાવ્યા હતા. પ.પૂ.બેન પણ દર્શન દેવા પધાર્યાં હતાં.

(૩) તા.૨૬/૧૦/૧૧ બુધવાર, દિવાળી, શારદાપૂજનની મહાપૂજા

આજે સાંજે ૪.૩૦ થી ૭.૦૦ પપ્પાજી હૉલમાં શારદા પૂજનની મહાપૂજા વિધિ પૂ.યશવંતભાઈ દવે, પૂ.ઈલેશભાઈએ કરાવી હતી. યજમાન પદે મહાપૂજામાં ૧૧ ભાઈઓએ લાભ લીધો. સં.૨૦૬૮ની સાલના ગુણાતીત સમાજના સૌ વેપારી, ધંધાદારી ગૃહસ્થ ભાઈઓના હિસાબી ચોપડાઓ પૂજામાં મૂકાયા હતા. જેની પૂજન વિધિ- પુષ્પવૃષ્ટિ મોટેરાં સ્વરૂપોએ કરી હતી.

પ.પૂ.બેન પણ દર્શન દેવા પધાર્યાં અને રાજી થઈ આશીર્વાદ આપ્યા કે, ઓહો ! આટલા બધા મુક્તો પધાર્યા છે ! બધા સુખી સુખી થાય ! ધનના ઢગલા થાય. ગુરૂહરિ પપ્પાજીએ પણ ધ્વનિમુદ્રિત છતાંય જાણે સ્ટેજ પર બિરાજમાન થયા હોય તેવા રણકાથી આશીર્વાદ આપ્યા હતાં કે, ‘આટલા બધા સ્વરૂપો જે નીરવ અને નિરપેક્ષ રહી, પરબ્રહ્મની પૂજા કરે છે એમની સાથે રહી આપણે મહાપૂજા કરી. આ જે યજમાનો છે એ સહકુટુંબ તન, મન, ધન અને આત્માના સુખે સુખિયા થાય ! જે ચોપડા લખો તે નિર્ગુણ અને નિષ્કામ થઈ જાય. જગતમાં રહી કર્મયોગ કર્યા છતાં અક્ષરધામનું સુખ ભોગવો એ જ પ્રાર્થના ને આશીર્વાદ.

આજની શારદાપૂજનની અક્ષરધામની સરસ મહાપૂજા થઈ. લક્ષ્મીને નિર્ગુણ કરવા માટે પપ્પાજીએ સરસ કીમિયો શીખવ્યો. “જેટલું મંદિરમાં સંતોને આપીશું એનાથી અનંતગણું આપણી પાસે થવાનું છે. એનો અનુભવ દરેક હરિભક્તો કરે છે. આજે બધાએ ભક્તિભાવથી મહાપૂજા કરી. અંતમાં બધાં સ્વરૂપો વતી પ.પૂ.જ્યોતિબેને આશીર્વાદ આપી ધન્ય કર્યાં હતાં. ભક્તિ કરીએ છીએ. સાથે સુહ્રદ પ્રાર્થના કરીએ એ પરાભક્તિ છે ! શૂન્ય બનીને સેવા કરીને નવલા વર્ષે નવા જીવનનો નવો આનંદ ભોગવીએ, હળીમળીને પરાભક્તિ પર્વનો સમૈયો સરસ ઉજવવાનો આદેશ અને આશીર્વાદ આપ્યા હતાં.

(૪) તા.૨૭/૧૦/૧૧ ગુરૂવાર, નૂતનવર્ષ-૨૦૬૮

૧. નૂતનવર્ષની પ્રભાતે આજે ૪.૩૦ વાગ્યાથી પ્રભુકૃપામાં નવા વર્ષનાં દર્શને પ્રથમ બહેનો – ગૃહસ્થ બહેનો ઉમટ્યા ! પછી ભાઈઓએ દર્શન લાભ લીધો. ૫.૩૦ થી ૬.૦૦ જ્યોત મંદિરમાં પાટોત્સવ નિમિત્તે પૂજા- આરતી મોટેરાં બહેનોએ કરી હતી.

૨. સવારે ૬.૦૦ થી ૭.૩૦ નૂતન વર્ષની મંગલ મિલન સભા પપ્પાજી હૉલમાં થઈ હતી. જેમાં ધ્વનિમુદ્રિત આશીર્વાદ ગુરૂહરિ પપ્પાજીના મળ્યા હતાં.પ.પૂ.જ્યોતિબેન, પ.પૂ.જસુબેનના આશીર્વાદ લીધા હતા.

૩. સવારે ૧૧.૦૦ વાગ્યે જ્યોત મંદિર અને પ્રભુકૃપામાં અન્નકૂટ દર્શન ખુલ્લાં મૂકાયાં ! પ્રથમ મંદિરમાં ભાઈઓએ દર્શન કરી, પ્રભુકૃપામાં જઈ થાળ-આરતી કર્યાં. બહેનોએ પહેલા પ્રભુકૃપામાં દર્શન કરી, મંદિરમાં આવી થાળ-આરતી કર્યાં. ખૂબ આનંદ સાથે પ્રભુને ભાવથી થાળ જમાડ્યા. સહુ સ્વરૂપોના સાંનિધ્યે અન્નકૂટ ઉત્સવ થયો હતો. પ્રભુકૃપામાં ઠાકોરજી સમક્ષ, ગુરૂહરિ પપ્પાજી સમક્ષ ધરેલ ૯૫ આઈટમના થાળનો પ્રસાદ (અન્નકૂટ્નો પ્રસાદ) ગુણાતીત સમાજનાં કેન્દ્રો પર પરાભક્તિ પર્વના આનંદમાં વિશેષ રીતે તૈયાર કરીને મોકલ્યો હતો.

૪. સાંજે ૪.૩૦ થી ૭.૦૦ ભાઈબીજ નિમિત્તેની સભા પપ્પાજી હૉલમાં કરી હતી. “માહાત્મ્યની ખેંચાખેંચ એ અક્ષરધામ” પપ્પાજીના આ સૂત્ર મુજબ આજની સભા ભાઈઓ - બહેનોના મહિમાના ડીબેટીંગ તથા સ્મૃતિ સંભારણાઓ સાથે થઈ હતી. ગુરૂહરિ પપ્પાજીએ તો કમાલ કરી છે. ચાર પાંખાળા એક અદ્દ્ભૂત સમાજની રચના કરીને તેમાં જે ભાવ પૂર્યા છે તે તો જાણે રંગોળીમાં નિર્દોષતા ! નિઃસ્વાર્થપણું અને નિષ્કામભાવના રંગ પૂર્યા છે. આજના આ દિવ્ય પ્રસંગે ભાઈઓમાંથી પૂ.ઈલેશભાઈ, પૂ.કિશોરકાકા, પૂ.હરિષભાઈ ઠક્કર વગેરેએ જૂના સ્મૃતિ પ્રસંગો સંભારી ખૂબ સરસ લાભ આપ્યો હતો. તથા બહેનોમાંથી પૂ.દયાબેન, પૂ.રમીબેન તૈલી,પ.પૂ.પદુબેન, પ.પૂ.દીદીએ સરસ લાભ આપી આશીર્વાદ આપ્યા હતા. આમ, આજનો દિવસ ખૂબ ભર્યો ભર્યો ગયો હતો.

(૫) તા.૨૮/૧૦/૧૧ શુક્ર્વાર શાશ્વત સ્મૃતિ દિન

ગુરૂહરિ પપ્પાજીને દિલથી વિશેષ સંભારી લેવાના હેતુથી દર મહિનાની તા.૨૮મીએ પપ્પાજી તીર્થ પર શાશ્વત ધામે સવારે ૮.૦૦ વાગ્યે બહેનો પ્રદક્ષિણા, પ્રાર્થના માટે જાય. રાત્રે ૮.૩૦ વાગ્યે ભાઈઓ પ્રદક્ષિણા સભા કરવા જાય ! એ પ્રમાણે આજે પણ પ્રાર્થના ભક્તિ માટે ગયા હતા. સૌ ભક્તોએ શાશ્વત ધામે પરાભક્તિ કર્યા કરવાની હ્રદયની પ્રાર્થનાઓ પણ ધરી હતી. ૨૯/૧૦ ના સંધ્યા આરતી પહેલાં સમૂહ ધૂન કરી, કાલાવાલા, ક્ષમાયાચના, પ્રાર્થનાભાવ ધર્યા હતા.

(૬) અન્ય વિધ વિધ કાર્યક્ર્મ

પરાભક્તિ સમૈયાની તૈયારી. તેમાંય આવેલ દિવાળીના તહેવારો તે બધુંય છતાંય કથાવાર્તા, મહાપૂજાઓ અને વિશેષ કાર્યક્ર્મોનું આયોજન બ્રહ્મનિયંત્રિત થતું જ રહે છે. તેની ઝલક માણી લઈએ.

૧. તા.૨૧/૧૦ ના રોજ રાત્રે ૭.૦૦ થી ૯.૦૦ ‘પરમ પ્રકાશ’ ના હૉલમાં પૂ.ઈલેશભાઈનો ૫૫મો  પ્રાગટ્યદિન વિદ્યાનગર સ્થાનિક સભાના આબાલ વૃધ્ધ ભાઈઓએ ભેગા મળી ઉજવ્યો હતો. બ્રહ્માનંદ માણ્યો હતો.

૨. તા.૩૧/૧૦/૧૧ ના રોજ સવાર-સાંજ બે કાર્યક્ર્મ યોજાયા હતા. સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ પપ્પાજી હૉલમાં પૂ.સુશીલાબેન પીઠવાની જીવચર્યાની મહાપૂજા થઈ.

સાંજે ૫.૩૦ થી ૭.૩૦ ‘ગુણાતીત તીર્થ’ ના સુવર્ણ કળશનું પૂજન-અર્ચન તથા ખાસ પ્રદક્ષિણા પ્રારંભ પ.પૂ.બેન અને મોટેરાં સ્વરૂપોએ કરી આશીર્વાદ આપ્યા હતા કે, આ સ્થાન ખૂબ જ પવિત્ર છે. અહીં જે મુક્તો પ્રદક્ષિણા ફરશે તેના મનોરથ મહારાજ પૂર્ણ કરશે. આ જગ્યા ખૂબ જ સ્મૃતિ પ્રસાદીની છે. ગુરૂહરિ પપ્પાજીએ અહીં બિરાજી ખૂબ દર્શન લાભ આપ્યો છે. ખૂબ સરસ વિગતે આ પ્રદક્ષિણા મંદિર ઉર્ફે “ગુણાતીત તીર્થ” ની માહિતી ડૉ.પંકજબેને આપી હતી. આજે અહીં આપણે ફક્ત ટૂંકમાં સ્મૃતિ ઝલક માણીશું. મૂર્તિ દર્શન (ફોટા) પછી માણીશું. એના બદલે અહીં આપણે પરાભક્તિ પર્વની તૈયારી જ્યોતમાં તથા પપ્પાજી તીર્થ પર ચોમેર ચાલી રહી છે. જંગલમાંથી મંગલ બનાવી રહ્યાં છે. ભક્તો એડવાન્સ સેવા માટે પધારી ગયા છે. ઑક્ટોબર માસની પૂર્ણાહુતિ થઈ.

પરાભક્તિ પર્વ લઈને આવેલ આ નવેમ્બર મહિનાનો પ્રારંભ પણ આજે થઈ ચૂક્યો છે.

“તો ચાલો રે સહુ ચાલો………….” ભક્તિ ઉત્સવના એ ભજન મુજબ સહુ આનંદથી પધારજો. આવવાની તૈયારી થઈ ગઈ હશે. અમો પણ આપની રાહ જોઈ રહ્યાં છીએ. ટૂંક સમયમાં મળીશું. તેના આનંદમાં વિરમું છું.

આવજો. જય સ્વામિનારાયણ !

                                                 લિ. જ્યોત કિરણ P.૭૧ ના જય સ્વામિનારાયણ !

 

 

Centre Locations

Gunatit Jyot has its head quarters in Vallabh Vidyanagar, with branches across India, UK and USA.

Please click here to view the list of Gunatit Jyot Centres


New Jersey - USALondon - UKVidyanagar - India

Any queries about this page? Contact: newsletters@gunatitjyot.org

 


Contact Us - Site Map - Feedback

This website has been optimised for Microsoft Windows Internet Explorer